
આપણે ભગવાનનું ધ્યાન-સ્મરણ કરવું હોય પણ સફળતા મળતી નથી. તે માટે મહામુક્ત ગોપાળાનંદ સ્વામી આપણને આવું શીખવાડે છે.
(૧) જ્યાં ઘોંઘાટ જેવા વિક્ષેપ ન હોય તેવા સ્થળને ધ્યાન માટે પસંદ કરવું.
(૨) વારેવારે હલ-ચલ કરવી ન પડે તેવું આસન રાખવું. બહુ પોચું કે બહુ કડક ન રાખવું. પોતાને અનુકૂળ હોય તેવી પલાંઠી, પદ્માસન કે સિદ્ધાસન જેવી પોઝિશનમાં બેસવું. જે આસનમાં તકલીફ વિના લાંબો સમય વિતાવી શકાય તેમ બેસવું.
કમર કે પગ જેવી કોઈ તકલીફ હોય તો ખુરશીનો ઉપયોગ કરી શકાય. ઓછામાં ઓછું હલવું પડે તે આવશ્યક છે. વળી, એકવાર ધ્યાન ધરવા બેઠા પછી દેહની તકલીફ સામે જોયા કરવું નહીં. પછી તો ચિત્તને સ્થિર રાખી શ્રીહરિના ચિંતનમાં જોડી દેવું.
(૩) ધ્યાનને નિર્વિઘ્ન રાખવા માટે પ્રાણને એટલે કે ખાવાની લોલુપતાને વશ રાખવી પણ જરૂરી છે.
દેહને જરૂરી હોય તેટલો હળવો અને સાત્ત્વિક ખોરાક જમવાના સમયે જમી લેવો. જો પછીય ખાવા-પીવાના સંકલ્પો પજવ્યા કરે તો ધ્યાન ન થાય. માટે મનને મક્કમ કરી ખાવા-પીવાના વ્યર્થ વિચારો ન થાય તેવો અભ્યાસ કરવો જોઈએ.
(૪) ધ્યાન માટે સમયનું સિલેક્શન પણ મહત્ત્વનું છે. વહેલી સવાર, નોકરી-ધંધે જતાં પહેલાં કે રાત્રે સૂતાં પહેલાંનો સમય શ્રેષ્ઠ છે. જે સમયે બીજા સંકલ્પો નડે નહિ અને ઊંઘ-આળસ પજવે નહિ; તેવો સમય ખાસ પસંદ કરવો.
શરીરને જરૂર પૂરતી ઊંઘ આપ્યા પછી તરત ધ્યાન કરવાથી બે ફાયદા મળે છે :
૧. ઊંઘ પજવે નહીં.
૨. મન-મગજ શાંત હોવાથી તેને ધ્યાનમાં સારી રીતે જોડી શકાય.
જાગ્યા પછી બાથરૂમ-ટોઇલેટ જવાની જરૂર હોય તો તે કામ કરી લેવું. પાણી પીવાની જરૂર હોય તો પી લેવું, પણ પછી તરત જ ધ્યાનમાં જોડાઈ જવું.
(૫) ધ્યાન એટલે શ્રીહરિનું ચિંતન. આંખો બંધ કરી બેસી રહેવું તે ધ્યાન નથી. એટલે ધ્યાનમાં મનનો સંયમ અતિ આવશ્યક છે. મનને સ્થિર રાખવા ઇન્દ્રિયોને પણ શુદ્ધ રાખવી અતિ જરૂરી છે.
જો સારામાં સારું ધ્યાન કરવું હોય તો ઇન્દ્રિયો અને મન બંનેને વશ રાખવાં જોઈએ. તે માટે ધ્યાન સિવાયના સમયમાં પણ અયોગ્ય બાબતોથી સાવધાન રહેવું જોઈએ. પછી ધ્યાન સમયે મન મહારાજ સિવાય બીજા વિચારોમાં જતું ન રહે તેનું બહુ જ ધ્યાન રાખવું.
આપણે મનને રોકી શકતા નથી, પણ એક શ્રીહરિના મનપસંદ સ્વરૂપના ચિંતનપરાયણ તો રાખી શકીએ છીએ. તે માટે શ્રીહરિનાં અંગો, તિલ-ચિહ્ન કે પ્રભુએ પહેરેલ વસ્ત્રાભૂષણનું સતત ચિંતન કરતા રહેવું જોઈએ. મહારાજનાં ચરિત્રો પણ સંભારી શકાય. લીલા-ચરિત્ર અને તેમાં સામેલ સંતો-ભક્તોએ સહિત શ્રીહરિને સંભાર્યા કરીએ તો મનને બીજે ભટકવાનો મોકો ઓછામાં ઓછો મળે.
(૬) આટલા ઉપાયો કરવા છતાં જો મન મહારાજની મૂર્તિમાં સ્થિર ન રહે, ચિત્ત શ્રીહરિના સ્વરૂપને બરાબર ચિંતવી ન શકે; તો આંખો ખોલી નાખવી. ખુલ્લી આંખે શ્રીહરિનું ધ્યાન કરવું. પોતાને જે અત્યંત ગમતું સ્વરૂપ હોય તેને સામે રાખી તેનાં અંગોઅંગને નિહાળ્યા કરવાં. પછી આંખ બંધ કરી અંતરમાં તેને ચિંતવવાં. જે અંગ આબેહૂબ ન ચિંતવાય તેને ફરી-ફરી નિહાળવું.
જે આપણી આંખથી આસક્તિપૂર્વક જોયું હોય તે જ ચિત્તમાં ઊપસે છે, એટલે સ્નેહથી શ્રીહરિને નીરખવા બહુ જરૂરી છે. એક-એક અંગને નિહાળી-નિહાળી કોન્સિયસ અને સબકોન્સિયસ મગજમાં ઉતારી દેવાં જરૂરી છે.
(૭) શ્રીહરિને ખુલ્લી આંખે નીરખતી વખતે અને પછી અંતરમાં ચિંતવતી વખતે તેમાં પ્રેમ જેટલો વધુ થાય તેટલું ધ્યાનનું રિઝલ્ટ સારું અને શીઘ્ર મળે છે. જેમ કોઈ વસ્તુને ચોંટાડવા માટે ગમ-ગુંદર જેટલો સારો હોય તેટલું સારી રીતે ચોંટે છે, તેમ શ્રીહરિમાં સ્નેહ જેટલો વધુ તેટલું ચિંતન સારું થાય છે.
શ્રીહરિમાં સ્નેહ વધારવા માટે ગોપાળાનંદ સ્વામી આવાં દૃષ્ટાંત આપે છે — પ્રેમી પતિવ્રતા નારીને તેના પતિમાં જેવો પ્રેમ હોય, તેવો પ્રગાઢ પ્રેમ પ્રભુમાં કરવો. જેમ ચકોરને ચંદ્રમાં. પતંગિયાને અગ્નિમાં, માછલીને જળમાં અને બપૈયા પક્ષીને તેની માદામાં જેવો સ્નેહ હોય તેવો શ્રીહરિમાં કરવો.
સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, મોટીબા, લાડુબા અને પૂંજા ડોડિયા પાણવીવાળાને પ્રભુમાં એવો પ્રેમ હતો, તો ભગવાન ભુલાતા જ નહીં. આપણે તેવો પ્રભુપ્રેમ વધારવા માટે મહિમા, મમત્વ અને સત્પુરુષનાં સેવા-સમાગમ જેવા ઉપાયોનો ખાસ ઉપયોગ કરવો.
(૮) આ બધી પ્રોસેસ અતિશય શ્રદ્ધા કે ગરજ હોય તો જ થઈ શકે છે. એટલે ગોપાળાનંદ સ્વામી તે બાબતને એક દૃષ્ટાંતથી સમજાવે —
જેમ ઋષિના શાપથી દેવો અતિ દરિદ્ર અને દુઃખી થઈ ગયા. પછી પ્રભુની સલાહ મુજબ સમુદ્રમંથન કરવાનું નક્કી કર્યું. તે માટે દાનવોને પગે પડી સાથમાં લીધા. પછી રાત-દિવસ ખૂબ જ દાખડો કર્યો ત્યારે લક્ષ્મીજી મળ્યા; તેમ આપણે પણ અતિ શ્રદ્ધા અને અતિ વિશ્વાસ રાખીને લાંબા સમય સુધી નિયમિત અભ્યાસ ચાલુ ને ચાલુ રાખીએ, તો શ્રીહરિનું ધ્યાન-ભજન-સ્મરણ સિદ્ધ કરી શકાય. ખોપાળાવાળા મયાદાદા અને બોટાદવાળા વજુદાદાએ એવો અભ્યાસ કર્યો હતો, એટલે તેમને અખંડવૃત્તિ અને મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ હતી.
Blog સંબંધિત લેખો







