નંદ સંતો
૩૦૦૦ ત્યાગી સંતો • શ્રદ્ધાનો પાયો • શાશ્વત વારસો
આધ્યાત્મિક મુક્તિના માર્ગ પરનો દરેક આત્મા આ ભૌતિક જગતમાં ખોવાયેલો રહીને પોતાની યાત્રા શરૂ કરે છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, ત્યારે તેમનું લક્ષ્ય શક્ય તેટલા વધુ આત્માઓને મુક્ત કરવાનું અને તેમને પોતાનાં દિવ્ય ધામ અક્ષરધામમાં લઈ જવાનું હતું. આ મિશનમાં સહાય કરવા માટે, સ્વામિનારાયણ ભગવાને લગભગ 3000 ત્યાગી સંતોને દીક્ષા આપી, જેઓ સામૂહિક રીતે 'નંદ સંતો' તરીકે ઓળખાય છે. તે 'નંદ સંતો' એ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નાંખવા અને સમગ્ર ભારતમાં સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે અકલ્પનીય મુશ્કેલીઓનો સામનો કર્યો.

સંતોની સભા — ભગવાન સ્વામિનારાયણની ભક્તિમાં એકત્ર
પાંચ પવિત્ર વ્રત
આ નંદ સંતો જીવનના તમામ ક્ષેત્રોમાંથી આવ્યા હતા—ઘણા કુશળ વિદ્વાનો હતા, જ્યારે અન્ય સામાન્ય ખેડૂતો હતા. કેટલાક યુવાન બ્રહ્મચારી હતા, જ્યારે કેટલાક પહેલેથી જ પરિવાર સાથે સ્થાયી થયેલા હતા. પરંતુ, જેવો સ્વામિનારાયણ ભગવાન સાથે તેમનો મેળાપ થયો, તેમની ભક્તિ જાગૃત થઈ અને તેઓ તેમનામાં સંપૂર્ણપણે લીન થઈ ગયા. તે તમામ સંતોએ ભૌતિક જગતનો ત્યાગ કર્યો હતો અને નીચે મુજબના 'પંચ વર્તમાન' તરીકે ઓળખાતા પાંચ વ્રતોનું સખતપણે પાલન કર્યુ હતું.
ત્યાગના આ માર્ગે ચાલવા માટે, દરેક સંતે સર્વ સંસારિક આસક્તિઓનો ત્યાગ કરી પાંચ પવિત્ર વ્રતોનું કડક પાલન કરવાનું હતું, જે પંચ વર્તમાન તરીકે ઓળખાય છે:
નિષ્કામ
તેઓએ સ્ત્રીઓથી સંપૂર્ણ બ્રહ્મચર્ય જાળવવાનું હતું.
નિર્લોભ
તેઓએ પોતાની જાતને તમામ સંપત્તિ અને લોભથી મુક્ત કરવાની હતી.
નિર્માન
તેઓએ ભગવાન પ્રત્યે નમ્ર બનવા માટે પોતાની જાતને અહંકાર અને ગર્વથી સંપૂર્ણપણે મુક્ત કરવાની હતી.
નિઃસ્વાદ
તેઓએ તમામ સ્વાદની ઈચ્છાઓ પર વિજય મેળવવાનો હતો.
નિઃસ્નેહ
તેઓએ જન્મના સંબંધીઓ અને ભૌતિક સંપત્તિ સાથેના તમામ સંબંધોથી અલિપ્ત રહેવાનું હતું.
જોકે આ મહાન વ્રતો અશક્ય લાગે છે, પરંતુ તમામ નંદ સંતોએ તેનું સખતપણે પાલન કર્યું હતું. અને બદલામાં, સ્વામિનારાયણ ભગવાને તેમને અક્ષરધામમાં શાશ્વત, દિવ્ય સુખ આપ્યું.
તેમની ભવ્ય સિદ્ધિઓ
ભગવાન પ્રત્યેની નંદ સંતોની ભક્તિ અને ભૌતિક જગતના ત્યાગને કારણે તેમને અવિશ્વસનીય શક્તિ અને ક્ષમતા પ્રાપ્ત થઈ. તેમની અડગ શ્રદ્ધા દ્વારા જ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નંખાયા હતા. તેમણે અંતરિયાળ ગામડાઓમાં પ્રવાસ કર્યો જેથી મોક્ષ ઈચ્છતા તમામ ભક્તો સત્સંગ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ શોધી શકે. તેમણે પેઢીઓ સુધીના ભક્તોને સ્વામિનારાયણ ભગવાન તરફ દોરવા માટે અસંખ્ય શાસ્ત્રોની રચના કરી અને હજારો કીર્તનો લખ્યા. તેમણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભવ્ય મંદિરો બાંધવા માટે અથાક મહેનત કરી. તેમણે સ્વામિનારાયણ ભગવાન દ્વારા સૂચવેલા 'પ્રકરણ' તરીકે ઓળખાતા 117 ટૂંકા ગાળાના વ્રતો હસતા મોઢે પસાર કર્યા અને આ બધું હોવા છતાં, તેમણે ઈર્ષાળુ કટ્ટરપંથીઓ તરફથી હિંસા સહન કરવી પડી હતી. તેમણે જીવનના તમામ પાસાઓમાં આપેલ બલિદાનના કારણે જ સ્વામિનારાયણ સંપ્રદાય આજે તમામ આધ્યાત્મિક ધર્મોમાં સુવર્ણ રીતે ઝળકી રહ્યો છે.
આજનો વારસો
આજે, નંદ સંતોના અનંત બલિદાન અને જ્ઞાનને કારણે આપણને એક સમૃદ્ધ સંપ્રદાય પ્રાપ્ત થયો છે. આજે આપણે પણ એવા જ સંતોનુ પ્રગટ સાનિધ્ય પામીને ધન્ય છીએ કે જેઓ નંદ સંતોની શિષ્ય પરંપરામાંથી આવે છે અને લાખો ભક્તોને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ઓળખાવવામાં સમાન ક્ષમતા ધરાવે છે.