Raji Karva Che ?

Raji Karva Che ?
May 6, 2026
Murtiswarupdasji Swami - Kundaldham

સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જીવને આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. આ દેહનું એકમાત્ર લક્ષ્ય અક્ષરધામની પ્રાપ્તિ અને શ્રીહરિને રાજી કરવા એ જ છે; પણ મહારાજ રાજી શેનાથી થાય ? શ્રીહરિજીને રાજી કરવાના ઘણા ઉપાયો છે, તે પૈકીનો એક ઉપાય ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતમાં જણાવ્યો છે કે, “આ દેહે કરીને ભગવાનને રાજી કરવા હોય, તેણે કોઈના બરોબરિયા થવું નહિ અને કોઈની સાથે પિતરાઈ દાવો બાંધવો નહીં.

સત્સંગમાં રહીને બરોબરિયા થવાની વૃત્તિ; એ સાધકના મનનો એક અદૃશ્ય, પણ અત્યંત ઘાતક રોગ છે. જ્યારે કોઈ હરિભક્ત એવો વિચાર કરે કે, ‘તેના કરતાં તો હું વધુ સેવા કરું છું’ અથવા ‘હું તેનાથી ઊતરતો કેમ ?’ બરાબર એ જ ક્ષણે તેની દૃષ્ટિ મહારાજની દિવ્ય મૂર્તિ પરથી હટીને તે ભક્તના દોષો પર સ્થિર થઈ જાય છે.

એક મંદિરમાં બે ભક્તો રોજ આંગણું વાળવાની સેવા કરતા. એક ભક્ત ખૂબ ઝડપથી કામ કરતો. એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો, ‘હું પેલા કરતાં કેટલી સરસ અને વધારે સેવા કરું છું ! તે તો સાવ ધીમો છે.’ બીજા ભક્તની ખામીઓ પર તેની દૃષ્ટિ જડાઈ ગઈ. ત્યાં જ એક સંતે આવીને ટકોર કરી, ‘ભગત, મહારાજ આપણું કામ નથી જોતા, હૃદયનો દાસભાવ જુએ છે. બીજાથી ચડિયાતા થવાની સ્પર્ધા કરવી એ જ અહંકાર છે.’ ભક્તને ભૂલ સમજાઈ ગઈ. તેણે મનની હરીફાઈ અને પિતરાઈ દાવો છોડી દીધો. ‘દાસના દાસ’ બની સેવા કરવાનું શરૂ કર્યું, અને તેનું હૃદય મહારાજના અખંડ સુખથી ભરાઈ ગયું.

પર્વત પરથી નીકળતી બે નદીઓ ક્યારેય એકબીજા સાથે એવી સ્પર્ધા નથી કરતી કે, ‘કોણ સાગરમાં પહેલાં પહોંચશે ?’ તેઓ તો બસ પોતાના વહેણના આનંદમાં વહે છે અને અંતે પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ સાગરમાં સમર્પણ કરી દે છે. આપણે પણ નદીની જેમ નિરંતર ભક્તિમાં વહેતા રહી, કોઈની સાથે સરખામણી કર્યા વિના માત્ર મહારાજના ચરણોમાં સમર્પિત થવાનું છે. કોઈના બરોબરિયા થવા કરતાં ‘દાસના દાસ’ થવામાં મહારાજ વધુ રાજી થાય છે.

બીજી બાજુ, પિતરાઈ દાવો બાંધવો એટલે ભક્તો સાથે ઈર્ષા, વૈર અને ‘મારા-તારા’નો અહંકાર લાવવો. એક વિશાળ વૃક્ષની કલ્પના કરો. શું એક જ થડમાંથી નીકળેલી બે ડાળીઓ ક્યારેય એકબીજા સાથે પિતરાઈ દાવો કે દુશ્મનાવટ કરે છે ? ના. કારણ કે, બંનેનું મૂળ એક જ છે. સત્સંગમાં પણ સૌનું મૂળ શ્રીજીમહારાજ જ છે. જો કોઈ અન્ય હરિભક્ત પ્રત્યે ઈર્ષા કે વૈર રાખવામાં આવે, તો વ્યક્તિ જાણ્યે-અજાણ્યે પોતાના જ ઇષ્ટદેવનો વિરોધ કરે છે.

અંતમાં, એક નાના દીવા પાસેથી સમર્પણનો ઘણો મોટો પાઠ શીખવા મળે છે. દીવો શાંતિથી પ્રકાશિત થાય છે, તે બીજા દીવાને જોઈને પોતાનું તેજ વધારવાની કોઈ હરીફાઈ કરતો નથી. આપણે પણ એ દીવા જેવા બનવાનું છે — પોતાના નિયમ-ધર્મમાં સ્થિર, સરખામણીથી મુક્ત અને અહંકારથી પર રહેવાનું છે. જ્યારે જીવમાંથી આ બરોબરિયાપણું અને પિતરાઈ દાવો નાશ પામશે, ત્યારે જ અંતરમાં મહારાજનું અખંડ સુખ વર્તશે.