Ek Kshann

Ek Kshann
September 1, 2025
Murtiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

આપણા જીવનની દિશા નક્કી કરવામાં ઘણી વાર આપણી સોબત જ આપણા નિર્ણયો પર હાવી થઈ જાય છે. સારો મિત્ર કે સારી સોબત આપણને ઊંચાઈઓ પર પહોંચાડી શકે છે, તો એક ખરાબ સોબત ક્ષણવારમાં આપણને પતનના માર્ગે પણ ધકેલી શકે છે. આ શાશ્વત સત્યને આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક કથાઓમાં વારંવાર વણી લેવામાં આવ્યું છે.

એક બાપુ પાસે “લાખેણો” નામનો અત્યંત જાતવંત અને સમજદાર ઘોડો હતો. તે એટલો વફાદાર અને તાલીમ પામેલો હતો કે માલિકનો માત્ર ખોંખારો સાંભળીને તેમની પાસે હાજર થઈ જતો. એક દિવસ મુસાફરી દરમિયાન માલિકે એક સરોવર કિનારે આરામ કરવા માટે રોકાણ કર્યું અને લાખેણાને લીલું ઘાસ ચરવા માટે છૂટો મૂક્યો. ચરતી વખતે લાખેણો થોડે દૂર ગયો, જ્યાં તેની મુલાકાત એક ગધેડા સાથે થઈ.

પછી તેણે પોતાની વાત માંડી : “મારો માલિક મારી પાસે અણતોળ્યો બોજ ઊપડાવતો અને રોજ ધોકાવતો. એક દિવસ મેં ઘાસ જોઈને જાણી જોઈને પછાડ ખાધી અને ખૂબ માર સહન કર્યો, પણ ઊભો જ ન થયો. છેવટે મારો માલિક કંટાળીને મને છોડીને જતો રહ્યો. હવે હું અહીં રાજ કરું છું. તું પણ એમ જ કરજે. માલિક બે-ચાર ચાબખા મારે તોપણ અહીંથી જવાનું નામ ન લેતો.”


અર્થ : સ્વાતિ નક્ષત્રનું વરસાદી ટીપું એક જ હોય છે, પણ તે કેળાના પાન પર પડતાં કપૂર, છીપમાં પડતાં મોતી અને સાપના મુખમાં પડતાં ઝેર બની જાય છે. જેવી સોબત હોય છે, તેવું જ ફળ મળે છે.

ગધેડાના શબ્દો ઝેર બનીને લાખેણાની રગોમાં વ્યાપી ગયા. તેની અત્યાર સુધીની સ્વામીભક્તિ અને વિવેકબુદ્ધિ પર લાલચની ભાવના હાવી થઈ ગઈ. તેનું મન માલિકમાંથી ભાંગી ગયું.

થોડીવાર પછી જ્યારે બાપુએ લાખેણાને બોલાવ્યો, ત્યારે તેણે સામે જોયું પણ નહીં. બાપુને આશ્ચર્ય થયું કે આને આમ અચાનક શું થઈ ગયું ! તેઓ જાતે જઈને જ્યારે તેના પર ચોકડું ચડાવવા ગયા, ત્યારે લાખેણો જાણી જોઈને ત્યાં જ જમીન પર પડી ગયો.

પોતાના સંતાન જેવા, પોતાના ઇશારે ચાલનારા ‘લાખેણા’નું આવું રૂપ જોઈને બાપુનું હૃદય ઘવાયું. તેમનો વિશ્વાસ તૂટી ગયો અને એ જ અસહ્ય દુઃખ ક્રોધ બનીને તેમની આંખોમાં ઊતર્યું. તેમણે ક્રોધમાં આવીને મ્યાનમાંથી તલવાર કાઢી અને એક જ ઝાટકે લાખેણાનું માથું ધડથી અલગ કરી નાખ્યું.



‘લાખેણા’ની કથા અહીં પૂરી થાય છે, પણ તે આપણા માટે એક સળગતો પ્રશ્ન છોડી જાય છે. શું આપણે આપણા જીવનમાં રહેલા ‘ગધેડાઓ’ને ઓળખી શકીએ છીએ ? આજના આધુનિક યુગમાં કુસંગ માત્ર ખરાબ મિત્રો પૂરતો જ સીમિત નથી. સોશિયલ મીડિયા પરની નકારાત્મકતા, ખોટી વિચારધારાઓ, વ્યસનો તરફ દોરી જતી લાલચો – આ બધા આજના ‘ગધેડા’ છે, જે આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરી શકે છે.