Sarva Shreshth Siddhi Kai ?

Sarva Shreshth Siddhi Kai ?
March 1, 2024
Ishwarcharandasji Swami - Kundaldham
0:00/0:00

આપણે સહુ શ્રીહરિના આશ્રિત સંતો-ભક્તો છીએ. શિક્ષાપત્રીનું પાલન કરીએ છીએ. કથા-કીર્તન, ધૂન-ભજન અને સેવા વગેરે સાધનો કરતા રહીએ છીએ. આ લોકમાં કરવાં ઘટતાં આપણાં કર્તવ્યો-ફરજો બજાવીએ છીએ; પણ આ બધાના ફળસ્વરૂપે શું મળે તો આપણે સર્વ શ્રેષ્ઠ સફળ થયા ગણાઈએ ?

મેળવવા યોગ્ય મુખ્ય બે બાબતો છે : (૧) સર્વદાતા શ્રીહરિ પ્રભુ પોતે. (૨) શ્રીહરિ સિવાયનું સ્ત્રી, પુત્ર, ધન-ધામ, ખાન-પાન, માન-આબરૂ વગેરે અન્ય સર્વે.

આપણે હાલમાં જેને મેળવવા માટે ઝંખીએ છીએ, જે મળે તો સર્વાધિક ખુશ થઈએ અને ન મળે ત્યાં સુધી ઉદાસ રહીએ કે અપૂર્ણતા માનીએ તે આપણું મુખ્ય લક્ષ્ય છે.

ઉપનિષદોમાં કહ્યું છે કે...

તેની સમાન કોઈ છે જ નહિ તો અધિક તો હોય જ ક્યાંથી !!

તે પુરુષોત્તમનારાયણ દિવ્ય આનંદનો મહાસાગર છે. તે સુખસ્વરૂપ શ્રીહરિને પામીને આત્મા તેના જેવો આનંદી બની જાય છે.

સર્વોપરી શ્રીહરિ પાસેથી આપણે બીજું કાંઈ પણ મેળવીને ખુશ થઈ રહ્યા છીએ ત્યાં સુધી સંપૂર્ણપણે છેતરાઈ રહ્યા છીએ. આપણે ખુદ બીજું મેળવવા ઈચ્છીએ છીએ અથવા મળે તો તેને બહુ મોટી કૃપા માનીએ છીએ એટલે પ્રભુ તેમના સિવાયનું આપીને આપણા સાધનોનું વળતર ચૂકવી દે છે. આમ, અનંત જન્મોથી પુરુષોત્તમને પામ્યા વિનાના ભટકી રહ્યા છીએ. વારંવાર સુખી-દુ:ખી, ખુશ-નાખુશ થયા કરીએ છીએ.

હવે આપણે આ જન્મે પ્રભુને જ પામવું હોય તો શું ઉપાય ?

પરબ્રહ્મ પરમાત્મા પોતે જેને વશ થાય તે ભક્ત તેને પામી શકે છે. કારણ કે, પ્રભુ જેને પસંદ કરે તેને તે પોતે પોતાનું સ્વરૂપ અર્પી દે છે.

સાચા સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય એટલે તેમનો કદી અભાવ ન જ આવે. તેમનો પ્રસંગ અને સેવા અત્યંત ગમે. તેના ફળસ્વરૂપે પ્રભુમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે. એ પરાભક્તિને કારણે પરબ્રહ્મ પોતે ભક્તને વશ થઈ જાય છે.

શ્રીમદ્ ભાગવતજીમાં ભગવાને કહ્યું છે,

જેમને મારામાં જ પ્રેમ છે. જે મારા સિવાયનું સારું કે મોળું બધું એકસરખું તુચ્છ જાણે છે; એવા સંતો મને ભક્તિએ કરીને વશ કરી લે છે. જેમ સતી નારી તેના સદાચારી પતિને પતિવ્રતાની ટેકને કારણે વશ કરે છે; તેમ તે સાધુઓ અનન્ય ભક્તિથી મને વશ કરે છે.

જેને ભગવાન વશ થાય તે ભક્તના ગુણો પણ પ્રભુએ પોતે આ રીતે દર્શાવ્યા છે -

જેમ અંબરીષ રાજાનો ભયંકર દ્રોહ કરનાર દુર્વાસા ઋષિ જ્યારે ભગવાનને શરણે ગયા, ત્યારે પ્રભુએ તેને કહ્યું,

હે દુર્વાસા ! હું તો મારા ભક્તને સર્વ પ્રકારે આધીન છું. હું સ્વતંત્ર હોવા છતાં જાણે પરતંત્ર હોઉં એમ મારા ભક્ત પાસે વર્તુ છું. કારણ કે, મારા પ્રાણ પ્યારા તે સંત-ભક્ત દ્વારા મારું હૃદય વશ થઈ ગયું છે.

જે કોઈ આવા ગુણે યુક્ત ભક્ત બને છે તેને ભગવાન વશ થાય છે. પછી પ્રભુ તે ભક્તમાં અને ભક્ત ભગવાનમાં મશગૂલ રહે છે. તે ભક્ત ભગવાન પાસેથી કાંઈ જ ન ઈચ્છતો હોવા છતાં ભગવાન તેને પોતાનું સર્વે સુખ સામેથી અર્પણ કરે છે.