શ્રીહરિનું સ્મરણ કેમ કરવું જોઈએ ?

શ્રીહરિનું સ્મરણ કેમ કરવું જોઈએ ?
February 1, 2024
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

શ્રીહરિએ શિક્ષાપત્રીમાં કહ્યું છે -


જેમ કે, ભાત-ભાતના સંકલ્પ-વિકલ્પ થાય, પંચવિષય ભોગવાય, માન-મોટ્યપ કે કીર્તિ મેળવવાની ઈચ્છા થાય, મળે તો મજા આવે અને તે ટળે તો દુ:ખ થાય.

આ બધો સૂક્ષ્મદેહનો ડખો છે. આપણે સૂક્ષ્મદેહમાં એકમેક થઈને વર્તીએ છીએ એટલે તેને કારણે ભજન-સ્મરણમાં વારંવાર વિક્ષેપ આવ્યા કરે છે. જો તેનાથી જુદા પડી શુદ્ધ આત્મારૂપે કે બ્રહ્મરૂપે વર્તીએ તો તે વિક્ષેપથી બચી શકાય.

આત્મારૂપે રહીને બે પ્રકારે ઈન્દ્રિયો-અંત:કરણના ભાવોથી બચી શકાય છે.

જેમ આપણી આજુબાજુમાં રહેલ બીજા કોઈ માણસો કાંઈ અયોગ્ય ક્રિયા કરતા હોય તો આપણે તેનાથી અલિપ્ત રહી આપણું કામ કર્યા કરીએ, તેમ ઈન્દ્રિયો-અંત:કરણને આપણાથી જુદાં સમજી તેના અટકચાળાથી અલિપ્ત રહેવું જોઈએ. આપણે તેમાં રાગ કે દ્વેષ કર્યા વિના આપણા કર્તવ્યમાં કે સેવા, સત્સંગ-ભજનમાં વ્યસ્ત રહેવું જોઈએ.

આમ માનવા-વર્તવા છતાં વાસનાનો વેગ આવે તો તેનાથી તદ્ન જુદા પડી જવું. જેમ આપણા પાડોશી લસણ-ડુંગળીનાં ભજિયાં વારંવાર ખાધા કરતા હોય, તો આપણે તેમાં ભળી પણ ન જઈએ અને તેની સાથે ઝઘડો પણ ન કરીએ. આપણે આપણા કર્તવ્યમાં મશગૂલ રહી તેમાં ધ્યાન જ ન આપીએ; તેમ આપણે આપણને શુદ્ધ આત્મારૂપે માની વાસનાની અસરોથી અલિપ્ત રહી ભજન કર્યા કરવું જોઈએ.

કદાચ અમુક વાસનામાં લેવાઈ જતા હોઈએ તોપણ હિંમત હાર્યા વિના આપણો અભ્યાસ ચાલુ ને ચાલુ રાખીશું તો પ્રભુકૃપાથી આખરે આપણે જીતી જઈશું.

આપણે ત્રણ દેહના ભાવોથી જુદા વર્તીએ છીએ કે નહિ તેની ખાત્રી શું ? તો ત્રણ દેહના ભાવોના કારણે જેટલા હર્ષ-શોક રહિત રહી શકીએ તેટલા જુદા રહ્યા કહેવાય. જેમ કે, ભૂખ-તરસ, ટાઢ-તડકો, માન-અપમાનની પરિસ્થિતિમાં આપણે સહજ ભજનપરાયણ રહી શક્યા, વિક્ષેપ પામ્યા નહીં, તો તેટલા ત્રણ દેહથી જુદા પડ્યા. સારું ખાવા-પીવાનું મળ્યું તો હરખાઈને તેમાં આસક્ત થઈ ગયા. જો ન મળ્યું તો ખીજાઈને અકળાઈ ઊઠ્યા. આવું થાય તો દેહભાવમાં ભળી ગયા અને આત્મભાવ ભૂલી ગયા એવું કહેવાય.

આવી બધી જ પરિસ્થિતિમાં હર્ષ-શોક રહિત પ્રભુપરાયણ રહેવાય તેટલો આપણે બ્રહ્મરૂપે રહેવાનો અભ્યાસ વારંવાર લાંબા સમય સુધી ચાલુ રાખવો પડશે.

ગોપાળાનંદ સ્વામી, પર્વતભાઈ અને નેનપુરના દેવજી ભગત જેવા મુક્તોને પ્રેક્ટિકલ બ્રહ્મભાવ જ રહેતો હતો, એટલે તેઓ કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવવા છતાં સમત્વધારી પ્રભુપરાયણ રહેતા હતા.