સતત સ્મરણ-ભજન કરવું છે ?

સતત સ્મરણ-ભજન કરવું છે ?
August 1, 2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

વહાલા ભક્તો ! આપણે ભગવાનના ભક્ત છીએ. દરરોજ પ્રભુની પૂજા, માનસી, કથા-કીર્તન અને ભજન કરીએ છીએ; પરંતુ તેમાં ખરેખર શ્રીહરિ સાથે જોડાવાય છે ? ભગવાનનું સુખ આવે છે ? બીજું બધું વિસરાય જાય એવો પ્રેમ પ્રગટે છે ?

પર્વતભાઈને શ્રીહરિ તથા સંતોના સાંનિધ્યમાં ૭ દિવસ ખાવાની જરૂર ન જણાણી. કુંડળધામના સમર્પિત મયાદાદા-ખોપાળાવાળાને ભજન કરતાં થકાં ભોજનમાંથી રસ જ ઊડી ગયો. સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી શ્રીહરિ તથા સંતો માટે શેરડી જેવાં અનેક ફળ-ફૂલ તૈયાર કરતા; પણ તેમને ખાવાના ઘાટ જ થતા નહીં. પ્રભુ સામેથી પ્રસાદ આપે તો પ્રેમથી આરોગતા, નહિ તો પોતે ન ખાવાનો નિયમ પાળતા. આપણે કેમ થાય છે ?

જેને પંચવિષય, પદ-પ્રતિષ્ઠા અને પૈસાની આસક્તિ છૂટી જાય તેઓ સાચા અર્થમાં સત્સંગ-ભજન કરે છે. તેમને શ્રીહરિનું સાચું સુખ આવે છે. તેઓ અંતરથી અંતર્યામી સાથે જોડાઈ શકે છે. તેનો અર્થ એ કે તેમને પ્રભુમાં પૂર્ણ પ્રેમ થાય છે. તેમને શ્રીહરિ તથા સંતોનો મહિમા સમજાઈ ગયો છે.

જેનો મહિમા અને પ્રેમ વધારવો હોય તેના પ્રત્યે આ બે બાબત અનિવાર્ય છે —

આપણે આપણા ઇષ્ટદેવ, ગુરુદેવ અને તેમના પ્યારા સંતો-ભક્તોના ગુણ, ઉપકાર અને પુનિત પ્રસંગો પુન: પુન: યાદ કરીએ છીએ ? તેનું કથન કે શ્રવણ કરતા જ રહીએ છીએ ? જો હા, તો પહેલી શરત ઓકે છે. જો ના, તો અત્યારે જ આ ભૂલ સુધારવી જરૂરી છે.

એટલે તો આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણે વચનામૃતમાં સૌથી વધુ વખત બીજાના ગુણ લેવાની અને અવગુણ ન જ લેવાની વાત કરી છે. વચનામૃતમાં અભાવ, અવગુણ, અપરાધ, દ્રોહ અને દોષ આ પાંચેય શબ્દોનો સરવાળો કરીએ તો ૩૭૯ થાય છે. આહા...હા...પરાત્પર પુરુષોત્તમનારાયણે તેમની પરાવાણીમાં ૩૭૯ વખત આ શબ્દો બોલીને આપણને અભાવ-અવગુણથી બચાવવા ટકોર કરી છે. એના ઉપરથી આપણે સમજી શકીએ કે શ્રીહરિ તથા સંતો-ભક્તોના ગુણ જ લેવા તે કેટલી મહત્ત્વની વાત છે ! અને તેમના અવગુણ લેવા તે કેટલી ભયંકર ભૂલ છે !

ગુણ લેવાના, ઉપકારો યાદ કરવાના અને પ્રેરક પ્રસંગો પુન: પુન: વાગોળવાના આટલા બધા લાભ છે.

કદાચ કોઈ સંત-ભક્તની ભૂલ હોય જ, તો તેને એકાંતે કહેવું એ જ સારી રીત છે; તેમ છતાં કોઈ તેને ફજેત કરે તો તે અવગુણિયાનાં વાણી-વર્તનથી બીજા જેટલાને સ્વામિનારાયણ ભગવાનનો કે સંતો-ભક્તોનો અભાવ આવે અને તે જીવોનું બગડે તેનું તમામ પાપ આ અવગુણિયાને લાગે છે. એમાંય જો પોતાના સ્વાર્થે, માન-ઈર્ષ્યાને કારણે કોઈના ચડાવવાથી આ કુપ્રવૃત્તિ કરે તો તેનું અનંતગણું પાપ વધુ લાગે છે.

આટલી વાત વિચાર્યા પછી હવે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, પર્વતભાઈ, દાદાખાચર અને નંદસંતો જેવી ભક્તિ તથા સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, તો મહિમા અને પ્રેમ વધે એવી જ વિચારધારાને વધારવી જોઈએ. એવી જ પોઝિટિવ પ્રવૃત્તિ કરવી જોઈએ. એવા મહિમાવાળાનો જ સંગ-સમાગમ રાખવો જોઈએ. સદા સારું જ જોવું, વાંચવું કે સાંભળવું જોઈએ.