
વહાલા ભક્તો ! આધારાનંદ સ્વામી કૃત શ્રીહરિચરિત્રામૃતસાગર પૂર-૧૫ તરંગ-૯૯માં એક વાત આવે છે.
ગઢપુરથી એક વખત મહારાજે શુકમુનિ પાસે સંતો-હરિભક્તો પ્રતિ એક પત્ર લખાવ્યો હતો. એમાં એકાદશીનું જાગરણ કેમ કરવું ? એ વિશે વાત લખી હતી. આ પત્રમાં શ્રીહરિએ એક એવી વાત લખાવી કે, જે ભક્તજન ભજન-સ્મરણ કરશે તેને ભગવાન પ્રગટ દર્શન આપશે. તેને સાક્ષાત્ પરમાત્મા મળશે. આ વાતને પુષ્ટિ આપે એવી એક અદ્ભુત કથા સદ્ગુરુ ગાથા ભાગ-૨માં પ.પૂ.સદ્.શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામી-છારોડીવાળાએ એમના ગુરુના ગુરુની લખી છે.
૧૯૫૮ની સાલમાં જૂનાગઢના સંત ગોપીનાથજી પુરાણી ઉપેલટા ગામમાં પધાર્યા હતા. એક દિવસ સ્વામી મંદિરમાં કથા કરી રહ્યા હતા. અને ભગવાનનાં સાક્ષાત્ દર્શન કરવાં હોય તે ભક્તને તત્પરતા કેવી હોવી જોઈએ ? તે અંગે ભાવવાહી કથા શ્રોતાજનો સાંભળી રહ્યા હતા.
ગોપીનાથજી પુરાણી અતિ પ્રવિત્ર અને નિર્દંભી સંત હતા. શ્રીહરિનાં પ્રગટ દર્શન માટેની શ્રોતાની આતુરતા જોઈને પુરાણી સ્વામી ઊંડા ઊતરી ગયા. એમના મનમાં એમ થયું કે, ‘જ્યાં સુધી મને શ્રીહરિનાં પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યાં સુધી મારાથી આ પ્રશ્નનો યથાર્થ જવાબ કઈ રીતે આપી શકાય ? મારે ખુદને તો હરિદર્શનની પ્યાસ હોવી જ જોઈએ.’
સ્વામીએ મોટા સંતો પાસેથી એવું સાંભળેલું કે, ‘જો કોઈ ખરા દિલથી ખાધા-પીધા વિના ત્રણ દિવસ અને ત્રણ રાત શ્રીહરિનું અખંડ સ્મરણ કરે, ભગવાનમાં અખંડવૃત્તિ રાખે, અખંડ ભજન કરે; તો મહારાજ એને પ્રત્યક્ષ દર્શન આપે છે.’ આથી સ્વામીએ મોટા સંતોના વચનને વિશ્વાસપૂર્વક પ્રયોગમાં મૂકી, શ્રીહરિનો સાક્ષાત્કાર કરવાનો દૃઢ નિશ્ચય કર્યો.
એક દિવસ નક્કી કરી, નિર્જળા ઉપવાસ કરી, મંદિરના નાનકડા એકાંત ઓરડામાં મહારાજની મૂર્તિ પધરાવી અને મૂર્તિ આગળ બેસી ગયા, ધ્યાનસ્થ થયા અને અખંડ એકતાર સ્વામિનારાયણ...સ્વામિનારાયણ સ્મરણ ચાલુ કર્યું, અને આશ્ચર્ય થયું.
શ્રીહરિના સાક્ષાત્કારને લીધે પુરાણી સ્વામીનું મુખારવિંદ અત્યંત દેદીપ્યમાન બની ગયું. એમના રોમેરોમમાંથી શ્રીહરિની દિવ્ય અનુભૂતિનો આનંદ નીતરી રહ્યો હતો. એમની તીવ્ર શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેના પ્રેમને લીધે મોટા સંતોએ બતાવેલો પ્રયોગ, ધાર્યા કરતાં ટૂંક સમયમાં સફળ નીવડ્યો.
ત્યારે સ્વામીએ કહ્યું કે, “તમે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમથી ત્રણ દિવસ અને ત્રણ રાત્રી, ખાધા-પીધા વિના મહારાજનું ભજન કરો. મહારાજ તમને પ્રત્યક્ષ દર્શન આપશે; આ અનુભવસિદ્ધ વાત છે.”
આ વાત સાંભળી દેવપ્રસાદ સ્વામીને જોડમાં લઈને પુરાણી સ્વામી તત્કાળ ઉપલેટાથી ગોંડલ જવા રવાના થયા. ત્યાં રાતના બાર વાગ્યે મહારાજ શાંતાનંદ બ્રહ્મચારીને તેડી ગયા. આવો છે આ પ્રગટ પુરુષોત્તમનારાયણનો સંપ્રદાય !