મોજ મળે ભારી, જો હોય બદલાવની તૈયારી

મોજ મળે ભારી,  જો હોય  બદલાવની તૈયારી

આલોક અને વૈભવ બંને જિગરજાન દોસ્ત. કોલેજ પૂરી થઈ એટલે બંનેએ વિચાર્યું કે, સુરત જેવા શહેરમાં બેકરી કે રેસ્ટોરન્ટ કરવામાં જ વધુ કમાણી થશે. તેથી બંનેએ એકસાથે લોન લઈ સુરતમાં સૌ પ્રથમ નાની એવી બેકરીથી શરૂઆત કરી. સ્વપ્નું તો બંનેનું એકસરખું જ હતું કે, આખા સુરતમાં આપણે ત્રણ-ચાર મોટી હોટેલ કરવી છે. પણ કાળનું ચક્કર ફરતાં પાંચ જ વર્ષમાં પરિણામ એ આવ્યું કે, આજે આલોક પાસે સુરતમાં મોકાની જગ્યાએ પોતાની બે મોટી ગેસ્ટ હાઉસ સાથેની હોટેલ છે. અને તે ખૂબ જ આનંદથી અને મોજથી પોતાની જિંદગી પસાર કરી રહ્યો છે. જ્યારે વૈભવ તેની બેકરી વેચી આજે તેના બનેવીની ફેક્ટરીમાં જોબ કરી રહ્યો છે.

બંનેનો લક્ષ, ઉત્સાહ અને ઉંમર એકસરખી જ હતી. અને ગણીએ તો વૈભવ આલોક કરતાં વધુ તેજસ્વી અને હાજરજવાબી પણ હતો; પણ ફક્ત એક ખામીને કારણે વૈભવ જીવનમાં કોઈ પ્રકારના વૈભવ પામી ન શક્યો. અને એ ખામી હતી ખુદને નહિ બદલી શકવાની. આલોકને જ્યારે જ્યારે પણ કસ્ટમર તરફથી કાંઈ સૂચન કે ફરિયાદ સાંભળવા મળી, ત્યારે ત્યારે તેણે તરત જ સ્વીકારી તેમાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું, જેથી તેનો ગ્રાહકવર્ગ ખૂબ જ વધ્યો. અને વૈભવે તેનો વિરોધ ચાલુ રાખ્યો. કોઈ પણ સૂચન કે ફરિયાદ કરે એટલે તેની પાસે બહાનું તૈયાર જ હોય. પરિણામે ગ્રાહકોનો અસંતોષ વધ્યો. કમાણી કરવાની ઇચ્છા તો બંનેને હતી, છતાં આલોકનું ફોકસ ગ્રાહકના સંતોષ પર હતું જ્યારે વૈભવનું પોતાની સેફ્ટી અને સાનુકૂળતા પર હતું. અને એટલે જ આલોક હંમેશાં સ્વબદલાવ કરતો રહ્યો અને વૈભવ હંમેશાં સ્વબચાવ.

વહાલા ભક્તો, આ સત્સંગમાં આપણે પણ રાજીપાની અઢળક કમાણી કરવાનો ધ્યેય છે. પૂ.ગુરુજી, સર્વે સંતો-ભક્તોનો ઝાઝો રાજીપો લઈ આપણે મહારાજની મૂર્તિરૂપી મોજ મેળવવી છે. પણ આ પ્રાપ્તિ સ્વબદલાવ વિના શક્ય જ નથી. અને એટલે જ પૂ.ગુરુજી ઘણી વાર કહે છે “BE THE CHANGE ”

સેવા તો આપણે ઘણી કરતા હોઈએ પણ તેમાં કોઈ મોટા કે આજુબાજુવાળા કાંઈ ફેરફાર કરાવવા ઇચ્છે, કે કાંઈક ભૂલ બતાવે ત્યારે અહંનું પ્રોટેક્શન કરવા કે રુચિપૂર્તિ કરવા અવનવાં બહાનાં ન બતાવીએ અને “એમાં મારી જ કંઈક ભૂલ છે, એમાં મારે જ કાંઈક સમજવાનું છે, એમાં મારે જ કાંઈક સુધારવાનું છે.” આ મંત્રોને અપનાવીએ તો ચોક્કસ ઢગલા બંધ રાજીપો અને ઢગલા બંધ આશીર્વાદ મળે, પણ જો એમ રહ્યા કરે કે, ‘મારી પરિસ્થિતિ આવી હતી, હું શું કરું ?, એ મારા પ્રત્યે આવું ન સમજે તો સારું, આમ કરશું તો જ આ સારું થશે અથવા તો એ મારી વાત સાચી જ છે ને, એમાં શું ખોટું છે ?’ ત્યાં સુધી કોઈનો રાજીપો મળે જ નહીં. ‘આપણે રાજીપો જોઈતો હોય તો બદલાવ પણ આપણે જ કરવો પડે.’ સામેનામાં બદલાવ ઇચ્છીએ અને વળી તેનો રાજીપો પણ ઇચ્છીએ તે બેય શક્ય જ નથી. માટે આ જ જન્મે પ્રભુને પામવા અને તેમના મહાઆનંદમાં જામવા આવો ભરીએ, એક કદમ સ્વબચાવથી સ્વબદલાવ તરફ