
એકવાર શ્રીજીમહારાજ સાંજ વખતે લાંઘણોજ ગામના પાદરમાંથી પસાર થયા, સાથે પાર્ષદ ડુંગરજી હતા. લાંઘણોજમાં અમૃતબાઈ ખૂબ મહિમાવાળા પ્રેમી ભક્ત હતાં. મહારાજ સામે ચાલી અમૃતબાઈને દર્શન દેવા એમના ઘેર પધાર્યા. આમ અચાનક મહારાજને આવ્યા જાણી અમૃતબાઈના આનંદનો પાર ન રહ્યો. હરખઘેલા થઈ જલ્દી જલ્દી મહારાજ માટે ઢોલિયો ઢાળવા દોડ્યાં.
ત્યારે મહારાજ કહે, “અમૃત ! અમારે અત્યારે રોકાવું નથી.” અમૃતબાઈ કહે, “ના મહારાજ ! હવે જમ્યા વિના ન જવાય, ફરી તમે ક્યારે પધારો ? માટે કૃપા કરી ઘડીક બેસો. હમણાં હું થાળ તૈયાર કરી દઉં, આપ જમીને પછી સુખેથી પધારો.” મહારાજ કહે, “અમૃત ! અમારે ઉતાવળ છે, ફરી ક્યારેક આવશું, અમે તો રાજી થઈને તને દર્શન દેવા જ આવ્યા હતા.” એમ કહી મહારાજ ચાલતા થયા. અમૃતબાઈએ ઘણી પ્રાર્થના કરી તોપણ મહારાજ ન રોકાયા.
ગામબહાર નીકળ્યા ત્યાં અંધારું થઈ ગયું. મહારાજ ડુંગરજીને કહે, “ડુંગરજી ! આપણે અમૃતબાઈના ઘેર રોકાયા હોત તો સારું થાત. હવે રાત્રે અંધારામાં ચાલવું સારું નહિ, માટે અહીં ક્યાંક રાત રોકાઈ જઈએ તો ઠીક.” એમ કહી નજીકમાં એક વાડી હતી ત્યાં ગયા. વાડીમાં એક સાથી રહેતો હતો. તેને વાત કરી કે અમારે અહીં એક રાત રોકાવું છે. સાથી મહારાજને ઓળખી ગયો કે આ તો અમૃતબાઈના ભગવાન છે. એટલે કહે, “સુખેથી રહો, તમારાં ભક્ત અમૃતબાઈની જ આ વાડી છે.”
પછી મહારાજ તે વાડીમાં આંબા નીચે રાત રહ્યા. રાત્રે સાથીએ ગામમાં અમૃતબાઈને ખબર આપ્યા કે, તમારા ભગવાન આપણી વાડીએ રાત રોકાણા છે. એટલે અમૃતબાઈના આનંદનો પાર ન રહ્યો. હરખમાં ને હરખમાં રાત્રે ઊંઘ પણ આવી નહિ ને સવારે વહેલા જાગી મહારાજ માટે સેવ બનાવી. પછી સેવ, સાકરનો ડબ્બો અને સાથે ઘી ને દૂધ; એ બધું એક ટોપલામાં લઈ, હજુ દિવસ ઊગે એ પહેલાં જ વાડીએ જવા ચાલતાં થયાં.
આમ મહારાજ અને ડુંગરજી વાતો કરે છે, ત્યાં અમૃતબાઈ આવી પહોંચ્યાં ને છેટેથી બૂમ પાડી, “એ અમારા આંબા નીચે કોણ ઊતર્યું છે ?” એટલે મહારાજ કહે, “એ તો અમે છીએ.” અમૃતબાઈને ખબર છે કે મહારાજ છે, છતાં પ્રેમમાં ને પ્રેમમાં મહારાજને કહે છે, “અમે વળી કોણ ?” ત્યારે ડુંગરજી કહે, “એ તો મહારાજ છે.”
મહારાજને ખબર પડી ગઈ કે સાકરને બદલે લોટ આવી ગયો છે, પણ આ તો ભાવના ભૂખ્યા ભગવાન હતા. મહારાજ તો ગ્રાસ પછી ગ્રાસ માંડ્યા જમવા. જમતાં જમતાં વખાણ કરતા જાય કે, “અરે અમૃત ! આ તો ખરેખર અમૃત જેવું મીઠું ભોજન છે, આવું તો અમે ક્યારેય જમ્યા નથી.”
વળી અમૃતબાઈ સેવ નાંખવા ગયાં ત્યારે મહારાજ કહે, “રાખ્ય અમૃત ! હવે અમે ધરાઈ ગયા છીએ.” ત્યારે ડુંગરજી બોલ્યા, “એ મહારાજ ! નાંખવા દ્યોને પછવાડે હું બેઠો છું ને ?”
પછી વળી સેવ પીરસી ને એક દોથો લોટ નાંખ્યો ને ઘી-દૂધ નાંખ્યું. પછી મહારાજે થોડું જમીને તાંસળી ડુંગરજી તરફ ધકેલીને કહ્યું, “લે ડુંગરજી ! આ પ્રસાદી તારા માટે.” ડુંગરજી કહે, “બહુ સારું મહારાજ લાવો.”
મહારાજ કહે, “અમૃત ! અમે તો તારો પ્રેમ અને ભાવ જમતા હતા, એટલે અમને એમાં સાકર કરતાં સવાયો સ્વાદ આવતો હતો.” અમૃતબાઈ કહે, “ના પ્રભુ ! એ તો મારી ભૂલ છે. હવે કૃપા કરી થોડીવાર રોકાઈ જાવ, હું હમણાં જ ફરી સારી રસોઈ બનાવીને લાવું છું.”