
ભગવાનના ભક્તો માટે કયું કામ અતિ મહત્ત્વનું ગણાય ? ભજન કે વ્યવહાર ? એનો વિવેક અવશ્ય હોવો જોઈએ. જીવનનો ઉત્કૃષ્ટ સમય ભગવાન માટે ફાળવવો જોઈએ, અને એના માટે અન્ય કામોને આઘાં-પાછાં કરતા શીખવું જોઈએ.
થોડા દિવસ પછી ફરીને મહારાજે સ્વામીને દર્શન દઈને કહ્યું, “આનંદ સ્વામી ! માંડણ ભગત સમાગમ કરવા જેવા છે. તેઓ ભજનાનંદી છે, માટે તમો તેનો સમાગમ કરજો.” શ્રીજીમહારાજે આવું કહ્યું, તોપણ પ્રવૃત્તિના યોગે કરીને તેમનો સમાગમ કરવાની સ્વામીને નવરાશ મળી નહીં.
પરંતુ પંદર દિવસ થતાં પહેલાં તો માંડણ ભક્તે દેહ મૂકી દીધો અને મહારાજની અખંડ સેવામાં ધામમાં ગયા. પછી સ્વામીને ખૂબ પસ્તાવો થયો કે, ‘મહારાજે કહ્યું છતાં મારાથી માંડણ ભગતનો સમાગમ થયો નહીં.’