વર વિનાની જાન...

વર વિનાની જાન...
April 1, 2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

એકવાર ઉપલેટા અને જાળિયા વગેરે ગામના કેટલાક હરિભક્તોએ ગઢપુર દર્શન કરવા જવાનું નક્કી કર્યું. તેઓ જૂનાગઢ સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીની રજા લેવા ગયા. સ્વામીને પગે લાગી કહ્યું, “સ્વામી ! અમો સૌ ગઢપુર દર્શને જઈએ છીએ.” સ્વામીએ રાજી થઈ કહ્યું, “જાઓ અને ત્યાં વિધાત્રાનંદ સ્વામી પાસે જાજ્યો ને તેમને મારા નારાયણ કહેજ્યો અને તેમની પાસે બેસી સત્સંગની વાતો સાંભળજો.”

પછી સૌ હરિભક્તો ગઢપુર આવ્યા. ગોપીનાથજી મહારાજનાં દર્શન કર્યાં. વિધાત્રાનંદ સ્વામી વાડીએ હતા એટલે ત્યાં દર્શને ગયા, દંડવત કરી પગે લાગી કહ્યું : “સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીએ નારાયણ કહ્યા છે અને અમને તમારી પાસે બેસવાનું કહ્યું છે, માટે કૃપા કરી અમને વાતો કરો.”

પછી વિધાત્રાનંદ સ્વામીએ વાતો કરતાં કહ્યું, “હે ભક્તો ! વર રાખજો વર.” પછી તે ઉપર વાત કરી કે, “એક શેઠ હતો. તેણે પોતાના દીકરાની જાનમાં જુવાનિયાઓને લઈ જવા આમંત્રિત કર્યા. પછી સૌ ગાડાં જોડાવીને જાનમાં જવા તૈયાર થયા. જાન ગામબહાર નીસરી. બધાને ઉત્સાહનો પાર ન હતો. બધા એકબીજાના ગાડાની હરીફાઈએ ચડયા. વરરાજાના ગાડાને પણ વાંસે રાખી પોતાનાં ગાડાં આગળ કરવા લાગ્યા.

વરરાજાનો મગજ ગયો ને કહે, ‘મારે માટે સૌ જાય છે ને મને જ પડતો મેલ્યો..! મારું ગાડું પાછું વાળો, મારે પરણવા જ નથી જવું.’ વરરાજો તો રિસાયો. ગાડામાં બેઠેલા સૌએ સમજાવ્યો કે ભલા માણસ આવું ન કરાય; પણ એેણે કોઈનું માન્યું નહિ ને ગાડું પાછું વાળી ઘર ભણી હાંકી મૂક્યું.