શું જોઈએ ? રાજીપાનો રૂઆબ કે રૉયલ્ટિ

શું  જોઈએ ?  રાજીપાનો રૂઆબ કે રૉયલ્ટિ
October 1, 2024
સંકીર્તનદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

આપણે પણ આ સત્સંગમાં સાચા ભાવે સેવા, ભજન, આજ્ઞાપાલન ઇત્યાદિ કરીને વાલા મહારાજ અને સંતો-ભક્તોના હૃદયનો રાજીપો પ્રાપ્ત કરીએ છીએ; પણ તે રાજીપો રાજીપારૂપે જ લઈ રહ્યા છીએ ? જો હા, તો ધ્યાન-માનસીમાં સહેજે જ ગળતા હૃદયે મહારાજમાં જોડાવાય, સહેજે જ પંચવિષય ત્યાગવા ગમે, બીજા બધા દિલથી મોટા મનાય અને સૌને દાસભાવે સેવવાનું જ મન થાય. અને જો પોતાનાં વખાણ થાય તે ગમે, દિવસે દિવસે સત્સંગ-સેવા કરવા છતાં વિષયમાં ખેંચાણ વધે, પોતાની ખાસિયતોમાં જ રમમાણ રહેવાય અને આવડતો કે પદવીના પાવરથી બીજાની ગૌણતા થયા કરે; ત્યારે સમજી લેવું કે રાજીપાનું રિએક્શન આવ્યું છે.

શ્રીજીમહારાજે વચનામૃત.ગ.મ.૪૧માં આપણને જણાવ્યું જ છે કે, “જે માનનો સ્વાદ મૂકીને કેવળ પ્રસન્નતા માટે ભક્તિ કરે છે તે અમને ગમે છે.” છતાં ઘણી વાર આપણે કમાયેલા રાજીપાની રોકડી આબરૂ માટે કરીએ છીએ, તો ઘણી વાર મનેચ્છિત વિષયો કે પદાર્થો પ્રાપ્ત કરવા પણ કરી નાખીએ છીએ. ખરેખર તે દળી દળીને ઢાંકણીમાં ઉધારવા જેવું જ છે. જો ખરેખર રાજીપાના આ રિએક્શનથી બચવું હોય તો પૂજ્ય ગુરુજીનું આ પદ સદાય યાદ રાખવા જેવું છે.