
વહાલા ભક્તો ! તે એક ચરિત્ર દ્વારા જાણીએ ને મહારાજનો અલૌકિક પ્રતાપ વિચારીને ભગવાનમાં હેત કરીએ.
પછી હોકો ધોવરાવીને પાણી પાયું અને બધા અસ્વારોને પણ પાણી પાયું. ત્યારબાદ મહારાજને થાળામાં બેસાડી મોટું કમંડળ લઈને પાણી સીંચી મહારાજને અંગો ચોળીને નવરાવ્યા. ત્યારે મહારાજ કહે જે, ‘આજ તમારાં કમંડળો કામમાં આવી ગયાં.’ પછી ત્યાંથી ચાલ્યા તે બરવાળે જતાં રસ્તામાં માણસો સામે મળે; તે એમ બોલતા જાય જે, ‘જુઓ, આ બધા અસવારો સ્વામિનારાયણ ભગવાનના છે, પણ ઓલ્યો એક હોકાવાળો છે એ સ્વામિનારાયણ ભગવાનનો નથી.’ આ સાંભળીને મૂળુ ખાચરને રીસ ચડી. તેથી હોકો પછાડીને ફોડી નાખ્યો. પછી બરવાળા રાત રહીને ધોલેરા ગયા અને ત્યાંથી વડતાલ ગયા. વડતાલમાં જોબન પગીની મેડીમાં કાઠીઓને ઉતારા કરાવ્યા. શ્રીજીમહારાજ બંગલામાં ઉતાર્યા અને સાધુઓ ધર્મશાળામાં ઊતર્યા.
પછી મૂળુ ખાચર શ્રીજીમહારાજના દર્શને ગયા. ત્યારે મહારાજે કહ્યું કે, ‘કેમ મૂળુ ખાચર, તમે હોકો તથા અફીણ મૂકી દીધું; તે શું સુરા ખાચરે ઉપદેશ કર્યો કે શું ?’ ત્યારે મૂળુ ખાચર કહે, ‘ના મહારાજ, એ તો આપના પ્રતાપથી મુકાયું છે. તેમાં એક વ્યસન હોકો, તે કુસંગીના વચનથી ફોડ્યો અને બીજું વ્યસન અફીણ, તે સત્સંગીના શબ્દથી મેલ્યું.’ તે સાંભળીને શ્રીજીમહારાજ બહુ જ રાજી થયા.