
વહાલા ભક્તો ! અહોનિશ - અહર એટલે દિવસ, નિશા એટલે રાત. રાત્રિ-દિવસ નામરટણ કરવાની ટેવ પાડવી. અર્થાત્ સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ! હે હરિ ! હે વહાલા ! હે નાથ ! હે દયાળુ !... એમ અખંડ સ્મરણની ટેવ પાડવી; તેમાં પણ જો ‘સ્વામિનારાયણ’ મહામંત્ર ભેળી કોઈ મોટા પુરુષની કૃપા ભળી જાય તો ગમે એવું અઘરું કે અશક્ય કામ હોય એ પણ થઈ જાય. એના ઉપર એક અદ્ભુત વાત છે.
કાલસારી ગામમાં એક કાળાબાપા નામે બહુ સારા ભક્તરાજ હતા. તેઓ પંચાળાના મકનજી ઠક્કરના વંશજ હતા અને કાલસારીમાં રહેવા ગયા હતા. એમને નાની ઉંમરે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. વળી, સદ્ગુરુ બાલમુકુંદ સ્વામીના તેઓ અનન્ય શિષ્ય હતા.
કાળાબાપા અને એમના દીકરા કાનજીભાઈએ વિચાર કર્યો કે, ‘આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આપણાથી બીજા કોઈની પાસે સારું કેમ કરાવાય ?’ આ બંને સ્વામિનારાયણ ભગવાનના નિષ્ઠાવાન, પતિવ્રતાની ટેકવાળા દૃઢ આશ્રિત હતા. એમણે નિર્ણય કરીને વિવેકપૂર્વક કહેવડાવ્યું, ‘તમારી ભાવના સારી છે, પરંતુ અમે તો ભગવાન સ્વામિનારાયણની ઇચ્છા ઉપર બધું છોડ્યું છે. અમે સ્વામિનારાયણ ભગવાનને માત્ર કર્તા જ નહિ, હિતકર્તા પણ માનીએ છીએ. એમની ઇચ્છા હશે તો પ્રભુદાસને સારું થશે અને ઇચ્છા નહિ હોય તો ધામમાં તેડી જશે.’
આ બાજુ દિવસે અને દિવસે પ્રભુદાસની તબિયત બગડતી ગઈ. તેઓ વીસ-પચીસ દિવસથી કોમામાં હતા. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદદાસજી સ્વામી અને એમના શિષ્ય નારાયણદાસજી સ્વામી જૂનાગઢના બહુ મહાન સાધુ હતા. એ કુટુંબે આ સંતને બહુ રાજી કરેલા. કાળાબાપાના મનમાં એમ થયું કે, ‘હવે તો સદ્ગુરુ નારાયણદાસજી સ્વામીના આશીર્વાદ મળે તો જ પ્રભુદાસ બેઠા થાય. આપણે હવે સ્વામીના શરણે જઈએ.’
બીજે દિવસે સવારમાં પૂજા-પાઠ કરી પ્રસાદીનું પાણી સાથે લઈ સ્વામી કાળાબાપાને ઘરે પ્રભુદાસ પાસે પધાર્યા. સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરતાં કરતાં પાણીની અંજલિ છાંટતાં સ્વામી બોલ્યા, ‘અલ્યા પ્રભુ ! બેઠો થા.’ પરંતુ પ્રભુદાસ ઉપર સ્વામીના વચનની કોઈ અસર થઈ નહીં.
બીજે દિવસે પણ સ્વામી ઠાકોરજીની પ્રસાદીનું જળ લઈ પ્રભુદાસ પાસે આવ્યા અને સ્વામિનારાયણ...સ્વામિનારાયણ રટણ કરતાં જળ છાંટ્યું અને કહ્યું, ‘પ્રભુદાસ બેઠો થા બાપ ! બેઠો થા.’ પણ, પ્રભુદાસની સ્થિતિમાં કોઈ પરિવર્તન થયું નહીં.