
પછી મહારાજે તે રૂપિયાનો સામાન મંગાવીને સુખડાં કરાવ્યાં ને ઠાકોરજીની આગળ અન્નકૂટ ધર્યો. આરતી ઉતારી મહારાજ જમ્યા ને હજારો સંતો-ભક્તોને જમાડ્યા નેે સમૈયો નિર્વિઘ્ન પૂર્ણ થયો. પછી સભામાં મહારાજે વાત કરી કે સાંભળો...સાંભળો, આ વખતના અન્નકૂટ ઉત્સવના યજમાનપદનો લાભ સોમફઈએ લીધો છે. તે સાંભળી બધાએ તાળીઓનો ગડગડાટ કર્યો અને સંતો-ભક્તોએ વિચાર્યું કે સોમફઈ તો રૂપિયા વાવરે એવાં નથી, પરંતુ મહારાજે વવરાવ્યા.
થોડા સમય પછી હુતાશનીનો સમૈયો આવ્યો, ત્યારે એક દિવસ મહારાજ સોમફઈને ઓરડે પધાર્યા. સોમફઈએ મહારાજ માટે ઢોલિયો બિછાવ્યો. મહારાજ બિરાજમાન થઈને કહે, ‘અમને ભૂખ લાગી છે. તે કાંઈ જમવાનું હોય તો આપો.’ સોમફઈ કહે, ‘મહારાજ ! થોડીવાર ખમો તો થાળ કરું.’ મહારાજ કહે, ‘ઓલ્યા ડબ્બામાં બાજરાનો અડધો રોટલો છે તે લાવો.’ ત્યારે સોમફઈને થયું મહારાજ તો બધું જ દેખે છે. પછી મહારાજને રોટલો ને દહીં આપ્યું. મહારાજ જમવા લાગ્યા. સોમફઈને થયું કે મહારાજ રોટલો જમી જશે તો હું સાંજે ભૂખી રહીશ. એટલે કહે, મહારાજ મને પણ ભૂખ લાગી છે. પછી મહારાજે ચોથિયું રોટલો જમીને બાકીનો રોટલો આપ્યો. પછી મહારાજ જળપાન કરી ઢોલિયે બિરાજમાન થયા.
વહાલા ભક્તો, પૂ.ગુરુજીએ એક દોહામાં કહ્યું છે કે...