
હા, આ બધી બાહ્ય બાબતો આપણામાં હોય તો તેને શત્રુ માનીને તેને સુધારાય; પરંતુ અન્ય વ્યક્તિમાં હોય ત્યારે તેને એકદમ સહજ લેવાય. કેમ જે, તેનેે લઈને કોઈનું કલ્યાણ ખોરંભાઈ જાય એવા મોટા આ ભયંકર દોષો કે સ્વભાવો નથી. હા, બની શકે તો એમાં સાથે રહીને એમને મદદ કરાય પણ સામે રહીને એ બાબતને બહુ મોટા દોષ તરીકે કદી ન જોવાય.
આ વાતના અનુસંધાને શ્રીહરિજી મહારાજે કેટલાક વચનામૃતના અંશોમાં આ રોગને ઓળખવાનાં મીટરો સ્પષ્ટરૂપમાં બતાવ્યાં છે. જેમ કે... “આ જીવ જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશય હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે ?” આવા પ્રશ્નના ઉત્તરમાં શ્રીજીમહારાજે વચ.ગ.પ્ર.૭૮માં એવું કહ્યું છે કે, “પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે. પછી એની અસદવાસના થઈ જાય છે, તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદવાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય; અને જો અસદવાસના ન ટાળે તો અંતે જતાં વિમુખ થઈ જાય છે.”