
પૂ.સ્વામીએ કહેલ સ્વસંશોધન અંગેના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તો મેં એ વખતે સભામાં જ નોંધી લીધેલા; પણ હવે તે વિષે અંતરમાં ડોકિયું કરી એક એક મુદ્દા વિષે મેં ડીપથી વિચારીને લખવા માંડ્યું. વિચારોનો પ્રવાહ રોક્યો રોકાતો નહોતો. કેટલાક પ્રસંગો યાદ કરતાં અજ્ઞાન ઉઘાડું થઈ જતું હતું. સદ્ગુણો પાછળ છુપાયેલ અનેક દોષો ઓળખાતા હતા. એ ૧૪ મુદ્દાઓનું રાત્રે બનેલું લિસ્ટ વાંચી થોડીવાર તો હું હતાશ થઈ ગયો, પણ તરત પ્રભુએ જ અંદરથી આનંદ અને બળ પ્રેરીને સદ્.મુક્તાનંદ સ્વામીની એક પંક્તિ યાદ કરાવી...
ક્યારનોય બ્રિજેશની મભમ વાતો સાંભળી રહેલ તેનો મિત્ર પ્રશાંત બોલ્યો, “બ્રિજેશ ! આમ તું મને ક્યાં સુધી લલચાવીશ ? હું ગઈકાલની કોન્ફરન્સમાં હાજર રહી શક્યો ન હતો, તેથી પૂ.સ્વામીએ શું વાતો કરી એની મને કાંઈ જ ખબર નથી. વળી, તારા ૧૪ મુદ્દા કે તને પકડાયેલી વાતો વિશે પણ હું કશું જાણતો નથી. તો સ્વામીની કરેલ વાતનો થોડો પ્રસાદ મને પણ... હા, તારી અંગત વાત હોય તો એ બાદ કરી દે પણ બીજું તો...” બ્રિજેશે હાસ્ય સાથે કહ્યું, “મિત્ર પ્રશાંત, તારી પાસે શું અંગત ને શું જાહેર ! પણ ચાલ એમાંની સૌથી અગત્યની સારરૂપ વાત શોર્ટમાં કહી દઉં. તેમાં ખાસ તો મને ઓળખાયેલું ભયંકર અજ્ઞાન જો કોઈ હોય તો એ છે : જલેબીનો જલેબો.