હરિસ્મૃતિના વિક્ષેપકો

હરિસ્મૃતિના વિક્ષેપકો
May 3, 2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

યુવાવૃંદની પરસ્પરની જામેલી ગોષ્ઠીમાં એક ટોપિક ખૂબ સરસ રીત ચર્ચાયો. ટોપિક હતો – “હરિસ્મૃતિના વિક્ષેપકો.” આ વિશદ ચર્ચામાં ભગવાન ભૂલી જવાની સંભાવના ક્યાં ક્યાં છે ? આપણે ક્યાં ક્યાં વધુ સાવધાન થવું જોઈએ ? આ અંગેનાં યુવકોનાં મંતવ્યો અને અનુભવો લેવાયાં. વધુમાં ભગવાન ભુલાવાનાં સ્થળો, પરિસ્થિતિઓ, કારણો, નુકસાનો વગેરે બાબતોની ચર્ચામાં પણ યુવકોને ખૂબ આનંદ આવ્યો. ચર્ચાને અંતે તેનું સારરૂપ સંકલન તૈયાર કરવામાં આવ્યું. તેમાં જે તે યુવકોએ રજૂ કરેલ પોતાના અનુભવોનો ટૂંકો સારાંશ લખવામાં આવ્યો. બીજે દિવસે સંતોની આજ્ઞાથી શ્રીહરિની સમીપે લઈ જનારી આ બધી અદ્ભુત સામગ્રી યુવા સંચાલક દ્વારા તમામ યુવકોને વોટ્સએપના માધ્યમે ગૃપમાં મોકલવામાં આવી. ગોષ્ઠીમાં ગેરહાજર મિહિર પોતાના મોબાઇલમાં આ સામગ્રીનો લાભ પામી ખૂબ ખુશ થયો. હવે તે એમાં રહેલ લખાણ વાંચી રહ્યો છે. તો ચાલો, આ પ્રસંગે આપણે પણ મિહિરના મિત્ર બનીને તેની બાજુમાં બેસી જઈએ ને એ અદ્ભુત વાતોથી લાભાન્વિત થઈએ.

સાગર : મને મારો એવો અનુભવ છે કે જ્યાં સુધી આપણાં મનમાં ‘બીજા મને કેવો માનતા હશે ? મારે વિશે શું વિચારતા હશે ?’ એમ રહે ત્યાં સુધી એ દેહભાવના વિચારોમાં આપણા મનની વૃત્તિ પ્રવૃત્ત રહેતાં ભગવાન ભુલાય છે. આપણી વૃત્તિ આવા દૈહિક ભૂમિકાના વિચારોમાં એક વાર એંગેજ થઈ ગઈ પછી કોઈ કાળે ભગવાનમાં રહેતી જ નથી. માટે જો સ્મૃતિની કન્ટીન્યુઇટી જાળવવી હોય તો પોતાને અને સામાને દેહથી અલગ આત્મા માન્યા વગર છૂટકો જ નથી.

હર્ષ : મેં મારામાં જોયું તો એવું લાગ્યું કે મોટાભાગનો મારો સમય ‘હું સાચો છું.’ ‘મારો વાંક નથી.’ - આવો તેવો પોતાનો બચાવ કરવામાં તેમજ મારી આવડત, ગુણો કે કાર્યના પ્રદર્શનમાં જ જતો હોય છે. વળી, માન કે આબરૂ જવાનો ભય આવી પડે ત્યારે તો એ ભય એટલો બધો હાવી થઈ જતો હોય છે કે તે ભગવત્સ્મૃતિને દાબી દે છે. આમ, અહંરક્ષણ અને અહંવિસ્તરણ મારા માટે હરિવરની સ્મૃતિમાં આડા ગઢરૂપ છે. સંતસમાગમ કરી સાચી સમજણ કેળવવાની કોશિશ કરું છું. તમે બધા મારા માટે પ્રભુને પ્રાર્થના કરજો કે આ મારી ખોટ જલ્દી ટળી જાય; મારો બધો સમય બચી જાય ને ભગવાનમાં જોડાયેલા રહેવાય.

દીપ : એક વાત મને બહુ જ સ્પર્શી છે. આ માર્ગમાં પોતાના ગુણો તેમજ કાર્યોના ફળરૂપે મળનાર કીર્તિ-પ્રશંસા એટલે કે વખાણ સ્લો એન્ડ સ્વીટ પોઇઝન છે. તેનો યશ ભોગવી લેવામાં દાળિયાએ ઘર ઘાલ્યા જેવું થાય છે. અરે, ભવિષ્યમાં મળનાર યશ વાગોળવામાં પણ એટલું જ ઝેર ચડી જાય છે. એક વાર યશનું સુખ ભોગવાઈ ગયું પછી ભગવાનનું સુખ નથી આવતું. માટે મને તો શ્રીહરિની વિસ્મૃતિ કરાવનાર મોટું પરિબળ ભગવાન સિવાયના સુખો ભોગવી લેવા એ જ જણાય છે.

મિહિરભાઈનો ઉપસંહાર : આ ચર્ચામાં તમામ યુવકોએ ખુલ્લા દિલે ભાગ લઈ ખૂબ જ નિખાલસપણે પોતાના અનુભવો રજૂ કર્યા છે. સ્મૃતિમાં વિક્ષેપ કરનાર બાબતો હાઇલાઇટ થવાથી આ અંગેની ઘણી ઘણી સાવધાની મળી છે. આવો ટોપિક આપવા બદલ પૂ.સ્વામીને ખૂબ ખૂબ થેંકયૂ. આમાંથી શીખ લઈ હવે આપણે સ્મૃતિનો અભ્યાસ વધારીને મહારાજને રાજી કરીશું.