
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૮/૦૩/૨૦૨૩ બુધવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...
આત્માને સુખ માટે જો કોઈ હોય તો એક વહાલા વહાલા મહારાજની દિવ્ય મૂર્તિ જ છે.
ભગવાનમાં જોડાવા માટે, ભગવાનનું અખંડ સ્મરણ કરવા માટે આચાર્યો, સાધુઓ, સત્શાસ્ત્રો, કથા, ભગવાન સ્વામિનારાયણે બંધાવેલાં મંદિરો અને મંદિરમાં બિરાજમાન પુરુષોત્તમનારાયણનાં સ્વરૂપો અતિ ઉપયોગી છે, કલ્યાણકારી છે.
જેનાથી જેટલો લાભ લેવાય એટલો લાભ લઈને ભગવાનમાં જોડાઈ જઈએ. બસ આ જન્મે તો પ્રભુને પામી જ જઈએ. અક્ષરધામમાં જઈને વહાલા મહારાજનો મહાઆનંદ લઈએ અને યુગોના યુગ એ પરમાનંદમાં ઝૂલતા રહીએ.
અક્ષરધામના અધિપતિ, સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ આપણને એમના ધામમાં લઈ જવા માટે આ લોકમાં આવ્યા હતા, નહિ કે માયા દેવા. આપણને માયા આપીને, આપણને એમાં ગૂંચવી મારવા માટે મહારાજે કાંઈ કામ નથી કર્યું.
ભગવાન અને ભગવાનના ધારક જે મોટા પુરુષો છે એમણે સદૈવ દિલમાં એક જ તાન રાખ્યું છે કે, સર્વે જીવ સહજાનંદનો અમર આનંદ પામે, ગામ મૂકી ધામમાં જાય. દેહના સંબંધીને મૂકી સંતોમાં સ્નેહવાળા થાય. દેહનું અભિમાન મૂકી બ્રહ્માભિમાની થાય. વિષયમાં પ્રીતિ-સુખબુદ્ધિ છે ત્યાંથી પ્રીતિ-સુખબુદ્ધિ કાઢી પુરુષોત્તમનારાયણની દિવ્ય મૂર્તિમાં ગાઢ પ્રીતિ-સુખબુદ્ધિ કરે. મહારાજે અને મોટા પુરુષોએ સદૈવ એવો જ દાખડો કર્યો છે.
ભગવાન સંભારવા જેવું કોઈ મોટું પુણ્ય નથી. અહંકારના ત્યાગ જેવો કોઈ શ્રેષ્ઠ ત્યાગ નથી. વિષયસુખમાં વૈરાગ્ય સમ સાધન નથી. ભગવાનમાં હેત કરવા જેવું આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ કર્તવ્ય નથી. ભગવાનમાં અખંડવૃત્તિ રાખવા જેવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પ્રાપ્તિ નથી. એ માટે આખો દિવસ અતિ હેતે હરિના નામસ્મરણપરાયણ રહેવાય એવા પ્રયત્નમાં રહેવું.
“ધર્મકુંવર હરિકૃષ્ણ ચરણ નખચંદ્રને” આ પ્રેમાનંદ સ્વામીના કીર્તન શ્રેણીના ચોથા પદમાં સ્મરણનો મહિમા બહુ સારો છે. સ્મરણનો મહિમા જાણીએ તો નિર્વિઘ્ને સ્મરણ થાય.
આમાં ‘આજ’ શબ્દ એટલે કે વર્તમાન કાળ ઉપર વજન છે.
જમદૂતને દિનકરદૂત કહ્યા છે. દિનકર એટલે સૂર્ય. સૂર્યના દીકરા એટલે યમરાજા અને એના દૂત જમદૂતો. ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળતાં જમદૂત ધ્રૂજવા માંડે છે, ભાગી જાય છે.
સ્વામિનારાયણ...સ્વામિનારાયણ સ્મરણ ભવનાં બંધન કાપીને આપણને સુખી, સુખી કરી મૂકે છે.
પરમાત્માના નામ-મંત્રનો કેટલો પ્રભાવ છે ? કેટલો પ્રતાપ છે ? એમાં કેટલો લાભ છે ? એ વિશે વિચારીએ તો હરિસ્મરણનું તાન ચઢે અને હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, હરતાં-ફરતાં, ન્હાતાં-ધોતાં સ્વામિનારાયણ...સ્વામિનારાયણ થયા કરે.
તો એમાં ખોટું કાંઈ નથી. કારણ કે
જે વેદમાં હતો એનો એ જ મંત્ર આજે પ્રગટ કર્યો. એના સ્મરણ માત્રથી અનેક પાપીઓનાં તમામ પાપ સહેજે સહેજે બાળી, તમામ વાસનાથી એની મુક્તિ કરાવી એને અક્ષરધામ આપવા માટે મહારાજે પોતે આ મંત્ર પોતાના મુખથી પ્રગટ કરીને સૌને જપવા માટે આપ્યો છે.
સકામ ભક્ત નામ સ્મરણ કરે તો ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થને પામે અને નિષ્કામી ભક્ત નામ સ્મરણ કરે તો નિર્વાણપદ પામે.
આ મંત્ર જપીને ઠામો ઠામ, ધામો ધામ, દેવ-ઈશ્વરો, મુક્તો, મનવાંછિત સુખ પામે છે.