
એકવાર શ્રીજીમહારાજે વડતાલમાં જન્માષ્ટમીનોઉત્સવ કર્યો. ત્યારે સર્વેસંતો અને દેશદેશના હરિભક્તો ત્યાં આવ્યા હતા. સૌએ મહારાજના દર્શન, પૂજન, કથા-વાર્તાદિકનો ખૂબ લાભ લીધો. એક દિવસ મહારાજે સર્વ સંતોનેપૂછયું કે, ‘તમારામાં કઠણ વ્રત-નિયમ કોણ કોણ રાખો છો ?’ ત્યારે ભગવન્નિષ્ઠાની ખુમારીવાળા શૂરવીર સંતો કહેવા લાગ્યા કે, ‘મહારાજ તમે કહો તેમ કરીએ, તમે કહો તો અન્ન-જળ છોડી દઈએ, કડકડતી ઠંડીમાં પણ ઉઘાડે શરીરે રહીએ, મૌન રાખીએ...’ એમ વિધવિધ આકરા વ્રત-નિયમ પાળવા તૈયાર થઈ ગયા. ત્યારે મહારાજ અતિ રાજી થયા અને બોલ્યા કે,
એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહિ દેહ;
માનો ચૈતન્યરૂપ તમારું , દુ:ખરૂપ દેહ તેહ ન્યારું ...
(ભક્તચિંતામણિ : ૭૧/૩૭)
આમ મહારાજને આપણે ધર્મ-નિયમ પાળીએ, સેવા-ભજન કરીએ વગેરે તો ગમે જ છે, પરંતુ એ બધું પોતાને આત્મારૂપ માનીને કરીએ તો એ એમને અતિશય ગમેછે. માટે વહાલા ભક્તો આત્મનિષ્ઠા વર્ષમાં સદ્.ગોપાળાનંદ સ્વામીની વાતો માંથી આત્મારૂપ થવાની થોડી વાતો વાગોળીએ...
“ધીરજ ટાણા ઉપર રહેતી નથી, તે કેમ સમજે તો રહે?” તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે, “શ્રીજીમહારાજની ભક્તિ માહાત્મ્યે સહિત હોય ને આત્મનિષ્ઠાનો વિચાર અતિ પક્વ હોય તો ધીરજ રહે, ને તે આત્મનિષ્ઠાનો વિચાર કરનારા પણ ત્રણ પ્રકારના છે. તેમાં એકને તો ક્રિયા કરતાં પહેલાં વિચાર રહે, તે પ્રથમથી જ વિચારીને પછી ક્રિયા કરે. ને બીજાને ક્રિયા કરતાં મધ્યે સાંભરે. ને ત્રીજાને ક્રિયા કરી રહે ત્યારે સાંભરે. એ ત્રણે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ કહેવાય ને જેને સાંભરે જ નહિ તે તો અધમ કહેવાય.” ।।૨૧૯