આત્મનિષ્ઠા વર્ષ સં.૨૦૭૮ - માનો ચૈતન્યરૂપ તમારું...

આત્મનિષ્ઠા વર્ષ સં.૨૦૭૮ - માનો ચૈતન્યરૂપ  તમારું...
June 1, 2022
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

એકવાર શ્રીજીમહારાજે વડતાલમાં જન્માષ્ટમીનોઉત્સવ કર્યો. ત્યારે સર્વેસંતો અને દેશદેશના હરિભક્તો ત્યાં આવ્યા હતા. સૌએ મહારાજના દર્શન, પૂજન, કથા-વાર્તાદિકનો ખૂબ લાભ લીધો. એક દિવસ મહારાજે સર્વ સંતોનેપૂછયું કે, ‘તમારામાં કઠણ વ્રત-નિયમ કોણ કોણ રાખો છો ?’ ત્યારે ભગવન્નિષ્ઠાની ખુમારીવાળા શૂરવીર સંતો કહેવા લાગ્યા કે, ‘મહારાજ તમે કહો તેમ કરીએ, તમે કહો તો અન્ન-જળ છોડી દઈએ, કડકડતી ઠંડીમાં પણ ઉઘાડે શરીરે રહીએ, મૌન રાખીએ...’ એમ વિધવિધ આકરા વ્રત-નિયમ પાળવા તૈયાર થઈ ગયા. ત્યારે મહારાજ અતિ રાજી થયા અને બોલ્યા કે,

એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહિ દેહ;
     માનો ચૈતન્યરૂપ તમારું , દુ:ખરૂપ  દેહ  તેહ  ન્યારું ...

(ભક્તચિંતામણિ : ૭૧/૩૭)

આમ મહારાજને આપણે ધર્મ-નિયમ પાળીએ, સેવા-ભજન કરીએ વગેરે તો ગમે જ છે, પરંતુ એ બધું પોતાને આત્મારૂપ માનીને કરીએ તો એ એમને અતિશય ગમેછે. માટે વહાલા ભક્તો આત્મનિષ્ઠા વર્ષમાં સદ્.ગોપાળાનંદ સ્વામીની વાતો માંથી આત્મારૂપ થવાની થોડી વાતો વાગોળીએ...

  • એમ માનવું જે, મારો જીવાત્મા છે તે જ અક્ષરબ્રહ્મ છે. કેમ જે, અક્ષરધામમાં પણ પુરુષોત્તમ ભગવાન રહ્યા છે, તેના તે જ મારા જીવાત્માને વિશે રહ્યા છે. ।।૯૧
  • સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તવું. એમ વર્તવે કરીને કારણ આદિક શરીરનો નાશ થઈ જાય છે ને એમ ન વર્તેતો વૃદ્ધપણામાં ઠા રહે નહીં. ।।૧૧૯
  • બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી એ જ દાસપણું છે. ।।૫૨૨
  • એકવાર પોતાના જીવને શુદ્ધ કરીને પછી ભક્તિ કરવી, બીજાને સત્સંગ કરાવવો તથા સત્સંગનો મમત્વ રાખવો, ઇત્યાદિક જે જે કરવું તે સર્વે પછી કરવું. તે શુદ્ધ કેમ કરવો ? તો, સ્ત્રી અને ધન એ બે માં કોઈ રીતે જીવ ભળી જાય નહિ તેવો દૃઢ વિચાર કરવો. તથા આત્મનિષ્ઠા અને વૈરાગ્યની રીત સારી પેઠે જાણવી. તથા ભગવાનના સ્વરૂપને યથાર્થપણે જાણવું અને તેનું માહાત્મ્ય જાણીને ભક્તિ કરવાની રીત જાણવી; એટલાએ કરીને જીવ શુદ્ધ કરવો. અને એમ શુદ્ધ ન કરે અને કદાચિત્ જો સ્ત્રી આદિકમાં આસક્ત થઈ જવાય તો તે ભક્તિ ભગવાનને ગમે નહીં. જેમ અપવિત્ર થકો શ્રીહરિને અર્થે થાળ લઈ આવે તો તે શ્રીહરિને ગમે નહિ, તેમ તે ભક્તિ પણ ગમે નહીં. માટે એકલી ભક્તિમાં કાંઈક કહેવત(ખામી) છે. અને જીવને શુદ્ધ કરીને થોડીક ભક્તિ કરી હોય તો જેટલી કરી હોય તેટલી જાય નહીં.।।૨૩૭

“ધીરજ ટાણા ઉપર રહેતી નથી, તે કેમ સમજે તો રહે?” તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે, “શ્રીજીમહારાજની ભક્તિ માહાત્મ્યે સહિત હોય ને આત્મનિષ્ઠાનો વિચાર અતિ પક્વ હોય તો ધીરજ રહે, ને તે આત્મનિષ્ઠાનો વિચાર કરનારા પણ ત્રણ પ્રકારના છે. તેમાં એકને તો ક્રિયા કરતાં પહેલાં વિચાર રહે, તે પ્રથમથી જ વિચારીને પછી ક્રિયા કરે. ને બીજાને ક્રિયા કરતાં મધ્યે સાંભરે. ને ત્રીજાને ક્રિયા કરી રહે ત્યારે સાંભરે. એ ત્રણે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ કહેવાય ને જેને સાંભરે જ નહિ તે તો અધમ કહેવાય.” ।।૨૧૯