
બીજાને આપણી જેટલી જરૂરિયાત ઓછી એટલી આપણી વૃત્તિ ભગવાનમાં વધુ રહે. આપણને બીજાની જરૂર પડે એ ઠીક છે. તો બીજાને આપણી જરૂર કેમ પડે છે ? એનાથી શું થાય ? એ કેમ ઓછી થતી નથી ? ઓછી થઈ જાય તો શું થાય ? આપણને બીજાની જરૂર પડે એટલે શું થાય ?
બીજાને આપણી જરૂરિયાત વધુ રહે છે એનો એક અર્થ એ કે, આપણે એમને માટે અનિવાર્ય બની ગયા છીએ. એટલા આપણે એમનામાં વધુ રોકાયેલા રહીએ. એમને જેટલો સમય આપવો પડે એટલો ભગવાનનું ચિંતન-મનન કરવાનો સમય ઓછો મળે. નાના નાના પ્રશ્નો માટે પણ એ આપણી સલાહ લે. તેથી આપણે એટલું વધુ વિચારવું પડે. એમને કાંઈ વિચારવાનું રહેતું નથી. સહેજ કાંઈ થાય એટલે આપણે તરત ઈન્વોલ્વ થઈને, એમનો પ્રશ્ન એ પોતાનો જ પ્રશ્ન સમજીને શ્રીકૃષ્ણ ભગવાનની જેમ ચિંતાનો ટોપલો માથે લઈ લઈએ અને એ અર્જુનની જેમ સૂઈ રહે.